બુધવાર, 21 નવેમ્બર, 2012

ગાયની પૂજા શા માટે?




ભારતમાં હજારો વર્ષથી ગાય પૂજાય છે. ગાય માતા કહેવાય છે. ગાય ઉપર એક નિબંધ આવતો. કાઉ ઇઝ એનિમલ. કાઉ ઇઝ ફોર ફુટેડ એનિમલ. પરંતુ, અમે ક્યારેય અમારા માસ્તરોને એ સવાલ પૂછ્યો નહીં કે ગાયને આપણે માતા કેમ કહીએ છીએ. માત્ર એક જ જાનવરને માતાનું આટલું મોટું બિરુદ કેમ આપવામાં આવ્યું છે?

ગાય હજારો વર્ષથી ભારતના કૃષિ અર્થતંત્રની જીવાદોરી રહી છે. ગાય પોતે દૂધ આપે છે, એ રીતે તો ઉપયોગી છે જ. એથી વિશેષ ગાયના સંતાનો માણસોને આર્થિક રીતે અત્યંત ઉપયોગી રહ્યા છે. ગાયના વાછરડાના નાનપણમાં વૃષણો કાપી નાંખવાથી એ બળદ બને છે. જેમ પુરુષના વૃષણ કાપી નાંખવાથી એ નંપુસક થઈ જાય છે, તેમ બળદ પ્રજનનને લાયક રહેતો નથી. બળદ ખેતી, પરિવહનના કામમાં ઉપયોગી છે. કોઈ માણસના વૃષણો કાપવાથી એને કેટલી વેદના થાય? ભારતીય દંડ સંહિતા પ્રમાણે કલમ 307 હેઠળનો ગંભીર ગુનો છે અને "એટેમ્પ્ટ ટુ મર્ડર"ની વ્યાખ્યામાં આવે છે. 

હજારો વર્ષથી આપણે અબજો વાછરડાઓના વૃષણો કાપ્યા, એમને બળદો બનાવ્યા, એમને ધૂંસરીએ જોડીને મબલખ પાક પકવ્યા, એમનો પ્રજોત્પત્તિનો કુદરતી અધિકાર છીનવી લીધો. પોતાની નજર સામે પોતાના વહાલસોયા વાછરડાઓના વૃષણો કાપતા માણસોને જોઇને ગાયોએ કેટલા આંસુ વહેવડાવ્યા હશે? કોઈ કવિએ એના પર ક્યારેય કોઈ કવિતા લખી? કોઈ સંતે ક્યારેય કરુણા વહેવડાવી? જે હાથે માસુમ વાછરડાઓના વૃષણો કાપ્યા એ જ હાથથી તમે ગાયના કપાળે તિલક કર્યું અને ગાય-માતાના ગુણગાન કર્યા. વાહ. ધન્ય છે તમારી જીવદયા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો