શુક્રવાર, 17 મે, 2013

મનમોહન અને મોદી, ‘અમને કેદી ગણે તો ઘણું’



અમે ભૂખ્યા છે... તરસ્યા છીએ... બેકાર છીએ... બેઘર છીએ.
અમને ખબર નથી પડતી, કેમ સંજયદત્તને જેલમાં નથી જવું.
અમને ખબર નથી પડતી, કેમ તેના મિત્રો અને સગા-વ્હાલા દુખી છે.
સંજયદત્ત જેલમાં ગયાં ત્યારે ટીવી દ્વારા ખબર પડી કે,
જેલમાં બે હાથને કામ, સવારે ચ્હા-નાસ્તો, બે ટાઈમ જમવાનું મળે છે.
રહેવા માટેની સગવડ અને શરીર ઢાંકવા બે જોડી કપડાં પણ મળે છે.
સંજયદત્ત જેલમાં ગયાં ત્યારે ટીવી દ્વારા ખબર પડી કે,
જેલમાં પીવાનું પાણી અને નાહવાની સગવડ પણ છે.
અમે મહેનત કરવા તૈયાર છીએ છતાં,
ભૂખ્યા છીએ, તરસ્યા છીએ, બેકાર છીએ, બેઘર છીએ.
અમને જો જેલમાં રહેવા મળે તો,
ભૂખ, તરસ, બેકારી, રહેઠાણની સમસ્યાથી છૂટકારો મળે.
અમને જેલમાં પૂરો. અમને કેદી બનાવો.
અમારા જેવા તો કેટલાય છે, કદાચ સંખ્યા ઘણી મોટી છે. જેલ નાની પડે.
જેલ નાની પડે તો દેશને જ જેલ બનાઓ.
કે પછી જેલના કાયદા આખા દેશને લાગુ કરો.
જેથી નાગરીક તરીકે નહી તો કમસેક્મ કેદી તરીકે તો,
તમામ હાથોને કામ, પીવાનું પાણી, બે ટાઈમ જમવાનું અને રહેવાને છત તો મળે.

- રોહીત પ્રજાપતિ અને તૃપ્તિ શાહ તા. 17-5-2013