ગુરુવાર, 8 ઑગસ્ટ, 2013

ધવડાવવાની કળા



અમદાવાદના રામાપીરના ટેકરા પર માનવ સાધના ટ્રસ્ટ નામની એનજીઓએ આંતરરાષ્ટ્રીય સ્તનપાન સપ્તાહની ઉજવણી કરી. ટ્રસ્ટે ટેકરા પર 'રેડીમેઇડ' દલિત-ગરીબ સ્ત્રીઓનું ઓડીયન્સ એકઠું કર્યું, શહેરના નામાંકિત બાળચિકિત્સકોને નોતર્યાં અને આ નિષ્ણાતોએ રોજનું શેર લાવીને શેર ખાતી અભણ પ્રજાને બાળક ધવડાવવાના ફાયદા સમજાવ્યા. જે સલાહ અમદાવાદના શ્રીમંત પરિવારોની, કૂતરાં પાળતી, ગાડીઓમાં ફરતી, બોડી ફીગર 'મેન્ટેન' કરવા માટે પોતાના બચ્ચાંઓને સેરેલેક ખવડાવતી સન્નારીઓને આપવાની હોય તે સલાહના ઢગલાં રામાપીરના ટેકરા પરની ગરીબ સ્ત્રીઓના માથે ખડકાયાં. 

ખરેખર તો ગરીબ પરિવારોની સ્ત્રીઓ પાસે તેમના વહાલાં બાળકોને આપવા માટે પોતાના ધાવણ સિવાય કશું જ નથી હોતું. એમને જરૂર છે સારા, આરોગ્યપ્રદ ખોરાકની. એમને જરૂર છે બિમારીઓ સામે રક્ષણ પૂરું પાડતા તબીબી વીમાની અને વિના મૂલ્યે, ઉત્તમ, તબીબી સારવારની. અને સૌથી વધારે તો એમને જરૂર છે આ રાજ્યમાં એવા મુખ્યમંત્રીની જે એક લોકાયુક્તની નિમણૂંક અટકાવવા રૂ. 45 કરોડ ન્યાયપાલિકાના ડસ્ટબિનમાં નાંખી દેવા થનગનતો ના હોય. રામાપીરના ટેકરાની મારી ગરીબ બહેનો આ રાજ્યના મુખ્યમંત્રી જેટલી આવડત તો ધરાવતી નથી જ કે જે વગર સ્તને, વગર ધાવણે દસ દસ વર્ષથી છ કરોડની પ્રજાને ધવડાવતો જ રહે, ધવડાવતો જ રહે.....