સોમવાર, 21 જાન્યુઆરી, 2013

ગુણવંત શાહ સત્તાની ખુશામતખોરી છોડશે ખરા


નિર્ભયા ઇફેક્ટથી સંમોહિત ગુણવંત શાહે ગઈ કાલે દિવ્ય ભાસ્કરમાં લખ્યું, "મોહન ભાગવતજીની વાત સાવ ખોટી છે. એ ભારત, ઇન્ડીયાથી ચડિયાતું નથી. ભાગવતજીની વાતમાં તો કવિ દલપતરામે રચેલા નાટકમાં પ્રગટ થતું જીવરામ ભટ્ટીય 'મિથ્યાભિમાન' છે. 'રણ તો લીલાછમ'ના લેખકને આરએસએસ 'સાંસ્કૃતિક મિથ્યાભિમાનમાં રાચતો' હોવાનું જણાયું છે. તેઓ એવું કહેશે કે, અડવાણી, મોદી, તોગડીયા સહિતના તમામ સંઘી પ્રચારકો માટે આ વાત સાચી છે. (પાકિસ્તાન આ જ રીતે મુસ્લિમોના સાંસ્કૃતિક મિથ્યાભિમાનમાં રાચે છે.) ગુણવંત શાહ હવે સાચી દિશામાં વિચારી રહ્યા છે, પરંતુ સત્તાની ખુશામતખોરી છોડશે ખરા?

શનિવાર, 5 જાન્યુઆરી, 2013

બ્રાહ્મણનો દીકરો


સ્ટેશનરીની દુકાને વીસેક વર્ષનો યુવાન આવ્યો નવા વર્ષની ડાયરીઓ ખરીદવા. પાંચ-સાત ડાયરીઓ જોઈ. એમાંથી એક તેને પસંદ પડી.
"કેટલા?"
"એકસો એંસી રૂપિયા."
"આટલા બધા ના હોય, થોડા ઓછા કરો. દોઢસોમાં આપો. હું બ્રાહ્મણનો દીકરો છું."
દુકાનદાર માનતો નહોતો.
"સારું એકસો સાઇઠમાં આપો. આજે નવા વર્ષનો પહેલો દિવસ છે." યુવાને સસ્તામાં ડાયરી આપવાનું બીજું કારણ દુકાનદારને બઝાડ્યું.
હજુ દુકાનદાર માનતો નથી.
"હું તમારા દીકરા જેવો છું. હવે તો માનો."
"સારું. પણ, એકસો સાઇઠથી એક પૈસો ઓછો નહીં."
યુવાનના ચહેરા પર સ્મિત પથરાયું. એકસો સાઇઠ રૂપિયા દુકાનદારને ચૂકવી, મલકાતા મુખે ડાયરી થેલામાં મૂકી ને કશુંક યાદ આવ્યું.
"એક જરા બિલ બનાવી દોને, બસો રૂપિયાનું."